PRAFULKUMAR N.PALA

Gujarati Grammer - 3

દૃ, અને દ્રુની દુનીયા !! શુક્રવાર, October 8, 2010 at 5:17 am10 · Filed under વ્યાકરણ – જુગલકીશોર. આપણે બે લેખોમાં ક્ષ અને જ્ઞ અંગે ચર્ચા કરી ગયા. આ લેખોમાં આપણે ફક્ત આ બે અક્ષરોના સ્થાન અંગે જ વાતો કરીને સંતોષ માન્યો હતો. પરંતુ આજે આ ત્રીજા (અને આ વીષય બાબતે છેલ્લા) લેખમાં અગાઉની જાહેરાત મુજબ એક મહત્ત્વના અક્ષરને લેવાના છીએ જે વાચકો, તમે જાણો છો. આ અક્ષરની બાબતે, આમ તો જોકે કોઈ એક જ અક્ષરની વાત નથી. આ નીયમ જેની ચર્ચા કરીશું તે કક્કાના ઘણા અક્ષરોને લાગુ પડે છે. પરંતુ આ નીયમને આગળ કરવા માટે દૃ અને દ્રુનું ઉદાહરણ લીધું હતું. એને વીગતે જોઈએ. આપણા કોશમાં તમે જોયું હશે કે, દરેક અક્ષરનો ક્રમ બારાક્ષરી મુજબ હોય છે. આમાં ક,કા,કિ,કી, પછી કુ અને કૂ આવે છે. તે સીવાય આગળ જતાં એ જ ક્રમમાં કે,કૈ,કો,કૌ મુજબ અક્ષરો કોશના પાનામાં વહેંચાયા હોય છે. પણ તમે જોયું હશે કે શબ્દોના પ્રથમ અક્ષર સાથેના જોડાક્ષરોનો વારો તો છે…ક બારાક્ષરીના છેલ્લા સ્વર ઔ કે ઔં પછી જ આવે છે !! યાદ રાખો કે, અત્યાર પુરતું આપણે કોઈ પણ શબ્દના પ્રથમ અક્ષરની જ આ વાત કરવાના છીએ. દા. ત. કથી શરુ થતા બધા જ શબ્દોના પ્રથમ અક્ષરનો જોડાક્ષર તો દરેક સ્વર પછી આવતો હોય છે. જેમ કે, ક વીભાગમાં પ્રથમ અક્ષર સાથેનો જોડાક્ષર કોશમાં છે…ક કૌ પછી જ છપાયેલો હશે. મ વીભાગમાં પ્રથમ અક્ષર સાથેનો જોડાક્ષર છેક મૌ પછી જ જોવા મળશે. (આ જોડાક્ષરો પણ પાછા કક્કાના ક્રમમાં જ હોય તે કહેવાની જરુર નથી. ક માં ક્ય પછી જ ક્ર આવે કારણ કે ય પછી જ ર આવે છે.) હવે મુળ વાત પર પાછા ફરીએ. ઉપરનો નીયમ જોયા પછી તમારા ધ્યાનમાં ક્યારેક એક વાત આવી હશે કે, શબ્દના પ્રથમ અક્ષર સાથેનો જોડાક્ષર દરેક વીભાગમાં એક જગ્યાએ નીયમભંગ કરે છે !! આ સ્થાન છે, ઊ પછીનું ! મોટાભાગના વીભાગોમાં પ્રથમ અક્ષર સાથે ઊકાર પછી એક જોડાક્ષર વચ્ચે ઘુસી ગયેલો જોવા મળશે ! (યાદ કરો ઉપરના ફકરાવાળો નીયમ, જેમાં કહ્યું છે કે દરેક વીભાગમાં શબ્દના પ્રથમ અક્ષર સાથેનો જોડાક્ષર ઔકાર પછી જ આવે છે…) તો આ જોડાક્ષર વચ્ચે ઊ પછી ક્યાંથી ઘુસી ગયો ??! આજનો આ લેખ આ વચ્ચેના ઘુસણખોર માટે જ છે. ઊ કાર બાદ આવતો આ અક્ષર છે ૠ. કોશમાં જોશો તો શરુઆતમાં અ,આ,ઇ,ઈ,ઉ,ઊ, પછી આ ૠ આવે છે. સંસ્કૃતમાંથી પાંચમી પેઢીએ પહોંચેલી ગુજરાતી આવતાં આવતાં આ ૠ હવામાં રુના પુંભડાની જેમ લગભગ ઉડી ગયો છે. ( જોકે આજે પણ કોશની છેલ્લી આવૃત્તીમાં ૠથી શરુ થતા ૨૧ મુખ્ય શબ્દો છે જ.) આ ૠને કક્કામાં તો રાખ્યો છે પણ બારાક્ષરીમાંથી આપણે કાઢી નાખ્યો હોવાથી એ અક્ષર કોઈ પણ બીજા અક્ષર સાથે જોડાક્ષરરુપે આવે છે ત્યારે એનો વારો ઊ પછી જ આવે તે સહજ છે. અર્થાત્ કોઈ પણ શબ્દમાં જોડાક્ષરરુપે ૠ આવે તો તે ઊ પછીના ક્રમે જ આવે. આટલી લાં….બી વાત કર્યા પછીય હજી મુળ વાત તો બાકી જ છે, તેથી ગુસ્સો ને કંટાળો ખીસ્સામાં ઉંડે મુકી દેશો….! ને ત્યાર બાદ હવે આગળ ચાલો મારી સાથે – દ્ અક્ષર અરધો હોય અને એની સાથે જોડાક્ષર તરીકે ‘ૠ’ હોય તો તે દૃ બને છે. અને તેની સાથે ૠ સીવાયનો કોઈ પણ ‘ર’ જોડાવાનો હોય તો તે દ્ર બને છે. કોઈ પણ ર એટલે રા, રિ, રી, રુ, રૂ, રે, રૈ, રો રૌ. જેમકે દ્રાવીડ, દ્રુપદ, દ્રોણ, દ્રૌપદી વગેરે. નીયમ તો સાવ સહેલો છે પણ તેને સમજાવવા જતાં તે અઘરો બની જાય છે. બીજી એક સહેલી કસોટી છે, તે એ કે દ્ સાથે ૠ જોડાય તો તેનો ઉચ્ચાર દ્રુ થાય. હીન્દીભાષીઓ એને દ્રિષ્ટી એમ બોલે છે. વૃત્તીને તેઓ વ્રિત્તી એમ બોલશે. આનું કારણ તેઓ ૠનો ઉચ્ચાર રિ એવો કરતા હોય છે. (જ્ઞ બાબતે આપણે હીન્દીવાળાની ટેવ જોઈ ગયા છીએ) બીજી વાત કે જ્યાં પણ દ્ સાથે ૠ જોડાયો હશે ત્યાં તેની જોડણી દૃ થશે અને બીજો કોઈ ર જોડાયો હશે તો જોડણી દ્ર, દ્રા, દ્રિ વગેરે થશે. દની નીચે લીટી એટલે કોઈ અન્ય ર અને દની નીચે (આમ જોવા જઈએ તો દની ઉપર !! પરંતુ વર્ડમાં ટાઈપ કરીએ તો સાચો દૃ શ્રુતી ફોન્ટમાં નથી) દૃ જોવા માટે કોશમાં દુ–દૂ પછી શોધવું અને કોઈ અન્ય ર સાથેનો જોડાક્ષર શોધવા માટે દૌ પછી શોધવાનું રાખવું. ને હા, આ નીયમ દ સીવાયના બધ્ધા જ અક્ષરોનેય લાગુ પડે છે. જેમકે – ક સાથે ૠ હોય તો કૃચ્છ, કૃત, કૃદંત પણ બીજો કોઈ ર હોય તો ક્રતુ, ક્રમ, ક્રૂસ ગ સાથે ૠ હોય તો ગૃધ, ગૃહ (ઘર), ગૃહ્ય પણ રમાં ગ્રંથ, ગ્રસ્ત, ગ્રહ (આકાશી) ઘ સાથે ૠ હોય તો ઘૃણા, ઘૃત (ઘી) પણ ર હોય તો ઘ્રાણ પ સાથે ૠ હોય તો પૃચ્છક, પૃથક, પૃથા, પૃથિવી પણ ર હોય તો પ્રગટ, પ્રૂફ શ સાથે ૠ હોય તો શૃગાલ, શૃંગાર, શૃંગી પણ ર હોય તો શ્રદ્ધા, શ્રી, શ્રુત, શ્રતિ સ સાથે ૠ હોય તો સૃજન, સૃષ્ટિ, પણ ર હોય તો સ્રગ્ધરા, સ્રવવું, સ્રષ્ટા, સ્રોત હ સાથે ૠ હોય તો હૃત, હૃદ, હૃદય પણ ર હોય તો હ્રદ, હ્રસ્વ, હ્રાસ, હ્રીમ્ વગેરે મને લાગે છે, કે હવે વાચક નજીકમાં રહેતો હશે તો મને મારવા આવશે ! એટલે આંયાં જ અટકી જાઉં !! જય ગુજરાત – જય ગુજરાતી !! * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (2) શબ્દકોશમાં જ્ઞ ક્યાં શોધશો ? સોમવાર, October 4, 2010 at 5:17 pm10 · Filed under વ્યાકરણ – જુગલકીશોર. આની પહેલાં ક્ષ વીશે વાત કરી ત્યારે એમાં જ મેં લખ્યું હતું કે કોશમાંના અક્ષરોને શોધવા અંગે કાંઈ લખવાનું ન હોય. કદાચ કોઈને તો આ મશ્કરી પણ લાગે ! આવી સામન્ય બાબતે કાંઈ લેખો લખાતા હશે ? પરંતુ લખ્યા પછી કેટલાકને એ ઉપયોગી લાગ્યા !! મને તો એક જ લોભ હતો કે આ બહાનેય જો શબ્દકોશને ઉથલાવવાની ટેવ પડે તો ભાષાને એટલો લાભ જ છે. ક્ષને શોધવા માટે મારે ક્યારેય જરુર પડેલી નહીં, કારણ કે ક્ષથી શરુ થતા અક્ષરો માટે કોશ જોવો પડે એમ નહોતો. પણ એક વાર જ્યારે ખરેખર જરુર પડી ત્યારે માથું દુખી ગયાનું યાદ છે ! માંડ મળેલો. ખાસ કરીને અક્ષરનું યોગ્ય સ્થાન અને તે સ્થાન ત્યાં જ કેમ, એ જાણવાનું જરુરી હોય છે. મારા કેટલાય લેખો ખાસ કરીને સ્વર–વ્યંજનો તથા અનુસ્વાર–અનુનાસીકો અંગેના લેખો વાંચશો તો ખ્યાલ આવી જ જશે કે અક્ષરોના સ્થાન બાબતે જાણકારી જરુરી છે. સૌ પ્રથમ એ જાણી લઈએ કે જ્ઞ અક્ષર ગ્ + ન નો બનેલો છે. પરંતુ હજી હમણા સુધી આપણે ત્યાં જ્ઞને જ + ઞ ગણવામાં આવતો હતો. એટલું જ નહીં પણ જોડણીકોશની જુની આવૃત્તીઓમાં જ્ઞનું સ્થાન ‘જ’ અક્ષરોની વચ્ચે હતું. સંસ્કૃતની અસરોવાળી કેટલીક અન્ય ભાષાઓમાં આજે પણ “જ્યાન” કે “ગ્યાન” ઉચ્ચારથી જ્ઞ ને ઓળખવામાં આવે છે. ગુજરાતીઓ જ્ઞનો ઉચ્ચાર હંમેશાં ગ્નાનનો જ્ઞ જ કરતા હોવાથી જ્ઞને ‘જ’ વીભાગમાં મુકાયાનો વીરોધ જ્ઞાની લોકોએ કર્યો તેથી ગુજરાત વીદ્યાપીઠે ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની નવી આવૃત્તીમાં (પુરવણીમાં) જ્ઞને ‘ગ’ વીભાગમાં મુકી દીધો છે !! (પરંતુ ઉતાવળ થઈ ગઈ હોય કે કોઈ અન્ય કારણસર પરંતુ આ નવી પુરવણીને જ્યારે મુળ જોડણીકોશ સાથે કમ્બાઈન્ડ કરી ત્યારે આ ભુલ સૌના ધ્યાનમાં આવે એવી રીતે ખુલ્લી પડી ગઈ છે ! ) પરીણામ એ આવ્યું છે કે જ્ઞ શબ્દને શોધનારાઓને જ્ઞ જ વીભાગમાં પણ મળશે અને ગ વીભાગમાં પણ મળશે !!! આપણે દાખલા સહીત તેને જોઈ લઈએ – ગુજરાત વીદ્યાપીઠ દ્વારા પ્રકાશીત “પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર, ૨૦૦૮”ની કૉપી જે મારી પાસે છે તે છેલ્લામાં છેલ્લો કોશ છે. તેમાં પાના નં. ૯૦૩ સુધીમાં જુના કોશનાં પાનાં છે, જ્યારે ૯૦૭થી ૧૦૨૪ સુધીનાં પાનાં (પરીશીષ્ટ સહીત) નવી પુરવણીનાં છે. હવે જોઈશું તો જણાશે કે પ્રથમ કોશમાં પાના નં. ૩૫૮ ઉપર જ વીભાગના છેલ્લા શબ્દ ‘જૌહર’ પછી ‘જ્ઞ‘, મુકાયો છે. જ્યારે પુરવણીના પાના નં. ૯૨૮ ઉપરના ગ વીભાગના છેલ્લા શબ્દ ‘ગૌરી વ્રત’ પછી ‘જ્ઞાનવૃદ્ધ’થી જ્ઞના શબ્દો શરુ થાય છે. ટુંકમાં કહીએ તો છેલ્લી આવૃત્તીના આ જોડણીકોશમાં જ્ઞ ને શોધવામાં માર્ગદર્શન મળવાને બદલે ગોટાળો ઉભો થાય છે. જોકે હવે પછી તો જ્ઞનું સ્થાન ગ વીભાગમાં જ રહેવાનું છે તેમ માની લઈએ. અને એ જ કારણસર બીજી એક આડવાત એ છે કે સંસ્કૃતને વળગી રહેવાને બદલે આ બાબતે બોલીના / ઉચ્ચારના ધોરણને અપનાવાયાનું સમજાય છે. આજના આ લેખના અનુસંધાને જોઈએ તો છેલ્લા કોશમાં જ્ઞ શોધવા માટે પાના નં. ૩૫૮ ઉપર જ વીભાગમાં તથા નં. ૯૨૮ ઉપર ગ વીભાગમાં બન્ને જગ્યાએ શોધવાનું રહે છે !! –––––––––––––––––––––––––––––––––––––––––––––––– દૃ અને દ્ર અંગે હવે પછી * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (13) ગુજરાતી વ્યાકરણના પાઠો : બુધવાર, September 16, 2009 at 5:17 am09 · Filed under વ્યાકરણ ગુજરાતી વ્યાકરણના પાઠો : ( 12 ) –જુગલકીશોર================================================== વીરામચીહ્નો વીષે ખાસ : ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં સમય જતાં કેટલાક વીદ્વાનોએ ફેરફાર સુચવ્યા અને એમ ધીમે ધીમે વીરામચીહ્નોની સંખ્યા મર્યાદીત થતી ગઈ. અનેક વીદ્વાનોએ આ વીષય પર જે ગ્રંથો લખ્યા તેમાં નીચેનાનો સમાવેશ કરી શકાય : શ્રી જોસેફ વી. ટેલરે લખેલા પુસ્તક “ગુજરાતી ભાષાનું વ્યાકરણ” ઉપરાંત શ્રી હ.દ્વા.કાંટાવાળા તથા શ્રી લા.ઉ.ત્રવાડી દ્વારા લખેલું પુસ્તક “ નવું ગુજરાતીભાષાનું વ્યાકરણ” ; શ્રી કમળાશંકર પ્રા. ત્રિવેદી કૃત “ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ” ; ડૉ.કે.બી.વ્યાસના”ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર” ; શ્રી મનસુખલાલ ઝવેરી કૃત “ ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન” તથા શ્રી કે.કા. શાસ્ત્રી કૃત “ગુજરાતી ભાષાલેખન” વીરામચીહ્નો જેમ અંગ્રેજીમાંથી આવ્યાં એ ખરું પરંતુ એનો અર્થ આપણે બરાબર અપનાવ્યો જણાતો નથી ! અંગ્રેજી શબ્દ ‘પંક્ચ્યુએશન’ અને ગુજરાતી શબ્દ ‘વીરામચીહ્નો’ વચ્ચે ઘણો તફાવત જણાય છે ! અંગ્રેજી શબ્દ પંક્ચ્યુએશનનો અર્થ મુળ લેટીન મુજબ ‘એ પોઈન્ટ’ એવો થાય છે જ્યારે આ શબ્દના અર્થમાં રહેલી વીભાવના જોઈએ તો તે આ મુજબ વ્યક્ત થાય છે : 1] અર્થની સ્પષ્ટતા માટે ભાષામાં વીરામચીહ્નો મુકવાં; 2] અવારનવાર અવરોધ યા વીક્ષેપ કરવો; 3] ભાર મુકવો. સાથે સાથે શબ્દકોશમાંનો એનો અર્થ જોઈએ તો – ” અર્થ વધારે સહેલાઈથી પામી શકાય તે માટે વાક્યો, સ્વતંત્ર ઉપવાક્યો,અવાંતર શબ્દગુચ્છો (પેરેન્થેટીકલ ફ્રેઝીજ) વગેરેને જુદાં પાડવા માટે લેખન અને મુદ્રણમાં કેટલાંક નીયત ચીહ્નો અને સંજ્ઞાનાઓ વાપરવાની ક્રીયા, પ્રવૃત્તી કે વ્યવસ્થા.” આપણે આમાંથી વીરામ શબ્દને વધુ મહત્ત્વ આપીને કેટલુંક જતું કરીને વીરામચીહ્નો એ શબ્દને પકડી રાખ્યો છે. આપણે ત્યાં પણ ઉપર જણાવ્યા તે લેખક મહાનુભાવોએ આ ચીહ્નોની સમજ આપવા પ્રયત્ન કર્યો જ છે. એમાંની સૌથી પહેલી વ્યાખ્યા શ્રી ટેલરની નમુના દાખલ જોઈશું. તેઓ કહે છે : “ વિરામ (વિ, ઉપસર્ગ; રમ, રહેવું – થંભવું), આચકો ખાવો. વાક્યમાં આચકો ખાવાનાં બે કારણ છે. એક, સ્વાસને વાસ્તે; વાક્ય લાંબું થાય તો બોલતાં સ્વાસ પહોંચે નહીં, માટે તેમાં, એક, બે કે અધિક વાર, થોડું થોભવું પડે છે. બીજું, અર્થની સ્પષ્ટતાને વાસ્તે; એ સારૂ કે બોલેલી ભાષાનો સાંભળનાર, અને લખેલીનો વાંચનાર, ઘુંચવણ વિના અર્થ સમજી શકે. બોલતાં આપણે પોતાની મેળે સમજી શકિયે છિયે કે વાક્યમાં કહિં કહિં આચકો ખાવો જોઈયે; પણ લખેલી ભાષામાં, વિરામ કહિં કહિં આવે છે, અને આચકો વત્તો કે ઓછો ખાવો જોઈયે, એ જણાવવા સારૂ કેટલાંએક ચિન્હો યોજેલાં છે એમને વિરામચિન્હ કહિયે છિયે. “ વ્યાખ્યાઓમાં વધુ આગળ ન જતાં આપણે એના વીષેના અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. આનાથી આપણા આ ચીહ્નોની જરુરીયાત અને એનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થશે : 1] આ ચીહ્નો ખાસ તો લેખનમાં અને છાપકામમાં વપરાય છે. બોલવામાં એનો સીધો ઉપયોગ હોઈ શકે નહીં. 2] આ ચીહ્નોને, તે છતાં, ઉચ્ચારણરીતી સાથે સંબંધ છે જ. 3] આ ચીહ્નો ખાસ તો અર્થની સ્પષ્ટતા માટે છે. 4] લખાણના અર્થને વધુ સારી રીતે સમજવામાં આ ચીહ્નો વાચકને મદદરુપ થાય છે. શ્રી હૅરીનાં આ વાક્યમાં વીરામચીહ્નોની સરસ વાત સંક્ષેપમાં કહેવાઈ હોઈ એને પણ જોઈ લઈએ : “ દરેક વિરામચિહ્ન લઘુલિપિના કીમિયાને મળતું અથવા રસ્તામાં આવતા ટ્રાફિકની દોરવણી અને નિયમન માટે રાખવામાં આવેલી માર્ગસંજ્ઞાઓને મળતું કામ કરે છે. જો એ વાચકને મદદરુપ થાય તો અસરકારક છે અને જો વાચકને અર્થગ્રહણમાં અવરોધરુપ થાય તો હાનિકર છે.” બીજા મહાનુભાવોની વાતોમાં ઉંડે ન ઉતરતાં હવે આપણે સીધા વીરામચીહ્નોને જોઈ જઈએ : શ્રી ટેલરે નોંધેલાં ચીહ્નો આ મુજબ છે : 1 – લઘુવીરામ ( , ) 2 – ગુરુવીરામ ( ; ) 3 – વૃદ્ધીવીરામ ( : ) 4 – અંત્યવીરામ ( . ) આ ઉપરાંતનાં ચીહ્નો તેઓ બતાવે છે તે આ મુજબ છે : 1 – ગુરુરેખા ( _ ) 2 – લઘુરેખા ( – ) 3 – પ્રશ્નચીહ્ન ( ? ) 4 – ઉદ્ગારચીહ્ન ( ! ) 5 - કૌંસચીહ્ન ( { } -( )-[ ]- ) 6 - લોપચીહ્ન ( ’ ) 7 – અવતરણચીહ્નો ( ‘ ’ - “ ” ) 8 – લઘુસ્વરનાં ચીહ્નો ( અર્ધચંદ્રાકાર તથા | ) 9 – ગુરુસ્વરનાં ચીહ્નો ( – તથા ડ ) 10 – થડક કે તાળચીહ્ન ( ’ ) 11 – સમાનચીહ્ન ( = ) 12 – પ્રકરણ અથવા ખંડકચીહ્ન ( § ) 13 – ભુલચીહ્ન ( ^ ) 14 – ફુલ / ફુદડી ( * ) ; કટારી( † ) ; દ્વીકટારી ( આગળનાં બે ઉપરાઉપરી ચીહ્નો) દ્વીરેખા( ॥) સર્પગાંઠ (§) અને પદચીહ્ન 15 – સુચકચીહ્ન ( હાથની આંગળીથી દર્શાવતું ચીહ્ન) આટલાં ચીહ્નો શરુઆતમાં જે હતાં તેમાંથી કાળક્રમે ઘણાં ચીહ્નોને વીરામચીહ્નોની યાદીમાંથી બાદ કરીને છેવટ આજે આપણે જોઈએ છીએ તે જ ચીહ્નો રહ્યાં છે જેના વીષે આપણે આગળનાં પ્રરકરણોમાં જોઈ ગયાં છીએ. ——————————————————————— હપ્તો છેલ્લો હવે પછી. * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (1) સંસ્કૃત-પ્રાકૃતમાં વીરામચીહ્નો હતાં ?! શુક્રવાર, March 7, 2008 at 5:17 pm03 · Filed under વ્યાકરણ વીરામચીહ્નો વીષે કેટલુંક જાણવા જેવું : ————————————————————————————————- વ્યાકરણના પાઠો — 11. વર્તમાન સમયમાં એક વલણ એવું છે કે લખાણમાં શક્ય એટલાં ઓછાં વીરામચીહ્નો મુકવાં. એકપણ વીરામચીહ્ન ન મુક્યું હોય એવી રચનાઓ પણ મળે છે ! દા.ત. નલિન રાવળ કૃત કાવ્ય ‘એકાંત’માં એકપણ વીરામચીહ્ન નથી. વીરામચીહ્નો ઓછાં વાપરવાનું વલણ છતાં આજેય લખાણમાં એનું મહત્ત્વ જરાય ઓછું નથી…. જે વીરામચીહ્નો આપણે આજે વાપરીએ છીએ તે મુળ આપણાં નથી !! આરંભકાળમાં તો આપણે ત્યાં લખાણમાં વીરામચીહ્નો હોવાનું જણાયું નથી. લખાણમાં તો તે બધાં પાછળથી આવ્યાં છે. ઈ.સ.પુર્વે ત્રીજી સદીના અશોકના શીલાલેખમાં એકપણ ચીહ્ન નથી. ઘણા સમય પછી પુર્ણવીરામની જગ્યાએ ઉભી લીટી (|) કરવાનો રીવાજ થયો. તો સવાલ એ થાય કે વીરામચીહ્નો વગર કઈ રીતે ચાલતું હશે ?! જવાબમાં જાણીને આશ્ચર્ય થાય એમ છે. આપણે ત્યાં સંસ્કૃત કે પ્રાકૃતમાં લીપીબધ્ધ થયેલા ગ્રંથો જોતાં ચોક્કસ જણાશે કે એ ચીહ્નોની જરુર જ ન પડે એવી ભાષાકીય રચના જ નક્કી થયેલી હતી !! નવાઈ લાગે છે ને ?! પણ જુઓ આ નીચેની વીગતો, તાજ્જુબ થઈ જશું : એ વખતની ભાષાઓમાં ચીહ્નોને બદલે એવાં અનેક અવ્યયો જ હતા કે બરાબર તે નીશાનોની જ કામગીરી કરી આપે. આ અવ્યયો વીરામચીહ્નોના ભાવને સુચવવા માટે સક્ષમ હતા. જેમ કે, ચ, વા કે તથા જેવા અવ્યયો અલ્પવીરામની ગરજ સારે છે. ‘અથવા’ એ અર્ધવીરામસુચક છે. ‘ઇતિ’ શબ્દ પુર્ણવીરામનો ભાવ દર્શાવે છે. પ્રશ્ન સુચવવા માટે ‘કિં’, ‘અહોસ્વિત્ ‘. ‘ઉત’, ઉતસ્વિત્ ‘, ‘કિં’, ‘વા’ વગેરે અનેક અવ્યયો હતા. ઘટકસુચક ચીહ્નને બદલે ‘કિન્તુ’થી બરાબર કામ સરે છે. ‘અથ’ શબ્દ કંડીકાનો આરંભ સુચવે છે, જ્યારે ‘અપિ ચ’, ‘કિન્ચ’ વગેરે અવ્યયો કંડીકાની અંદર આવતા વીભાગોને કે વીષયાન્તરને જ નહીં, જુદી જ કંડીકાનો નીર્દેશ કરે છે. ‘તથાહિ’ જેવા અવ્યયો દર્શકચીહ્ન તરીકે કામ આપે છે તો ‘તદુક્તં‘, ‘તથા ચ’, ‘યથા’ વગેરે અવતરણચીહ્ન રુપે કાર્ય કરે છે. જ્યારે ‘યચ્ચોક્તં’, ‘યદપ્યુક્તં‘, ‘યદ્યપિ’વગેરે પદો આગળ આવી ગયેલા વીષયોની યાદી આપે છે. વીસ્મય કે આશ્ચર્ય માટે ‘અહો’, તથા ‘હો’નો ઉપયોગ થતો હતો જ્યારે ‘રે’અને ‘અરે’શબ્દનો ઉપયોગ સંબોધન સુચવે છે. હાસ્ય માટે પણ ‘અહો’ વપરાતો. આ ઉપરાંત ‘હિ’, ‘યત:’, ‘તત:’, ‘ઇત:’, ‘તદ્યથા’, ‘ભવતુ નામ’, ‘અસ્તુ નામ’,'જાતુ’, ‘ચેત્ ‘, ‘તર્હિ એવં’ વગેરે અવ્યયો તે તે પ્રકારના વાક્ય વીભાગને સુચવે છે…..‘આહુ:’, ‘પ્રેરયન્તિ’ વગેરે ક્રીયાપદો કોઈ પણ પક્ષની શરુઆતને બતાવે છે જ્યારે ‘અત્ર પ્રતિવિધિયતે’, ‘અત્રોચ્યતે’ જેવાં ક્રીયાપદો કોઈ પણ પક્ષના પ્રતીવાદની શરુઆત દર્શાવે છે. આમ જોવા જઈએ તો આ બન્ને ભાષાઓમાં અનેક અવ્યયો છે જે દરેક પ્રકારના વાક્યવીભાગને જણાવવાને માટે પુરતાં હતાં. એટલા જ માટે અભ્યાસીઓ અને અવ્યયોના મર્મને જાણનારાં કદી પણ એકધારા વીભાગ વીનાના લખાણને જોઈને ભરમાતા કે મુંઝાતા નથી…. —————————————————————————————————– ગુજરાત વીદ્યાપીઠ પ્રકાશીત ‘ગુજરાતીમાં વીરામચીહ્નો’ નામક પુસ્તીકાને આધારે સાભાર. * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (7) વીરામચીહ્નોની વાત ફક્ત અટકે છે, બંધ થતી નથી. શનિવાર, February 16, 2008 at 5:17 am02 · Filed under વ્યાકરણ વ્યાકરણના પાઠો : 10 –જુગલકીશોર========================================================= વીરામચીહ્નો : 4 સહપાઠીઓ ! વ્યાકરણના પાઠો અંતર્ગત આપણા આ શ્રેણીના કુલ 9 હપ્તા થયા. એમાંય વીરામચીહ્નોનો આ ચોથો હપ્તો છે. આ પ્રકરણ જાણી જોઈને ટુંકાવ્યું છે. વીરામચીહ્નોની વાત ઘણી ઉંડાણથી કરવાની જરુર નથી જણાઈ તેથી આ ચારેય હપ્તામાં સાવ સામાન્ય કહેવાય એવી વીગતો આપી છે. વધુ જરુર જણાશે અથવા પૃચ્છા થશે તો આગળ ઉપર એની વીગતોમાં ઉતરીશું. અત્યારે તો આ બધું છાશમાં પાણી નાખીને પીરસ્યું છે. વીરામચીહ્નોનો ઉપયોગ ફક્ત ગદ્યમાં જ નહીં, પદ્યમાં પણ વીરામચીહ્નોનો વાપર કાવ્યનો વીચાર કે ભાવ યોગ્ય રીતે ઉપસાવવામાં બહુ જ ઉપયોગી હોય છે. આશા છે કે આ સાવ સામાન્ય એવી વીગતો પણ આપણે ઉપયોગમાં લઈશું. આજે હવે આ હપ્તામાં બાકી રહી જતાં ચાર ચીહ્નો — 1- અવતરણચીહ્ન, કૌંસ, લોપકચીહ્ન અને લોપચીહ્ન — વીષે વાત કરીને વ્યાકરણના પાઠોનું આ પ્રકરણ પુરું કરીશું. ————————————————————– અવતરણચીહ્નો [ '--' તથા " --" ] : આ ચીહ્નોનો ઉપયોગ લખાણમાં આવતાં કોઈ વીશેષ નામો કે કોઈ મહત્ત્વની બાબત તરફ ધ્યાન ખેંચવા માટે તથા કોઈ અન્યના અવતરણોને ટાંકવા માટે થાય છે. ઘણીવાર લખાણમાં એક અવતરણની અંદર કશીક રજુઆત થઈ રહી હોય તે દરમીયાન બીજી કોઈ વ્યક્તીનું અવતરણ આપવાનું થાય ત્યારે બંનેને અલગ પાડવા માટે બંને પ્રકારનાં અવતરણચીહ્નોનો ઉપયોગ થાય છે. દા.ત. 1] આપણા સાહીત્યમાં ‘કલાપી’નું નામ અને કાર્ય સૌ કોઈને જાણીતું છે. 2] કાકા કાલેલકરે પોતાને લાગેલી ભુખને આલંકારીક રીતે આ રીતે મુકી છે : “ભુખ તો એવી લાગી હતી કે કુણા કુણા કાંકરાય પચાવી જાઉં !” 3] શીક્ષકે કહ્યું, “સૌ પોતાની જગ્યા પર જ ઉભા રહીને ગીત ગાશે.” 4] તમણે આ પ્રમાણે વાત મુકી હતી : ” હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એમણે કહેલી વાત, ‘ગુજરાતીઓએ સૌએ સાથે મળીને કામ કરવું જ પડશે’ મારા મનમાં બહુ અસર કરી ગઈ હતી.” . કૌંસ : (–) / { — } / [ -- ] : ઉપર બતાવેલા ત્રણેય પ્રકારના કૌંસ લખાણમાં વપરાય છે. ગણીતમાં છગડીયા કૌંસ અને મોટા કૌંસ તરીકે ઓળખાય છે. એનું સ્થાન પણ એ રીતે જ નક્કી થયેલું છે. લખાણમાં જ્યાં જરુર જણાય ત્યાં મહત્ત્વની બાબતને ખાસ સ્પષ્ટ કરવા માટે કૌંસમાં મુકવામાં આવે છે. લખાણમાંની કોઈ બાબતનું અર્થઘટન કરવામાં કૌંસનો ઉપયોગ થાય છે. વાક્યમાંના કોઈ શબ્દનો અન્ય અર્થ બતાવવા માટે પણ એનો વાપર છે. ઉપરાંત નાટકમાં વાચકને કેટલીક બાબતો દર્શાવવા માટે પણ કૌંસ વપરાય છે. દા.ત. 1] આપણા સૌ બ્લોગમાંનો એ ( સારસ્વત પરીચય ) એની વીશેષતાને કારણે પ્રસીદ્ધ થયો છે. 2] …પછી તો મારે એમની સાથે ( સુરેશભાઈ સાથે સ્તો વળી ) સારી ભાઈબંધી થઈ ગઈ. 3] અંતાણી : ( હાથમાંની પેન ઉંચી કરીને) “હવે જોઈ લેજો આપણી તડાફડી !” લોપકચીહ્ન : ( ‘ ) : કોઈ શબ્દ, અક્ષર કે આંકડાની પછી તરત જ આવતું આ ચીહ્ન બતાવી આપે છે કે અહીં કોઈ અક્ષર બતાવાયો નથી.. દા.ત. 1] ચીરાગ : આટલા દા’ડાથી એ ક્યાં ગ્યો’તો ઈ જ ખબર નો’તી. લોપચીહ્ન : (……) : આ ચીહ્ન વાક્યને અધુરું રાખવા કે કોઈ શબ્દની આગળની વાતને અટકાવીને અધ્યાર રાખવા માટે વપરાય છે. એનાથી વાતને એક રહસ્ય સાંપડે છે, કે પછી ચોટતા આવે છે. દા.ત. ” છેવટે તો હું દીકરી ખરીને ! મારે તો છેવટનો ઉપાય કુવો પુરીને ……” =================================================================== સહયોગીઓ ! આ છેહ્નોવાળી વાતને અહીં અટકાવીએ છીએ પરંતુ બે વાત ધ્યાને લઈશું : 1 — આપણે સૌ આ ચીહ્નોનો છુટથી અને યોગ્ય સ્થાને ઉપયોગ કરતાં જ રહીશું, જેથી આપણા લખાણમાં અર્થ વધુ સ્પષ્ટ થાય અને ભાષા વધુ સાર્થક થાય; 2] જ્યારે પણ જરુર પડે ત્યારે આની ચર્ચા ચાલુ રાખીશું. અસ્તુ. —====000====— * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (5) વીરામચીહ્નોનાં પ્રશ્નો અને આશ્ચર્યો !! મંગળવાર, January 29, 2008 at 5:17 am01 · Filed under વ્યાકરણ વ્યાકરણના પાઠો : 9 જુગલકીશોર.======================================= વીરામચીહ્નો : 3 એક મીત્ર : “હું મુરખ છું ?” બીજો મીત્ર પહેલાને : “તારા વાક્યમાંથી પ્રશ્નાર્થચીહ્ન કાઢી નાખીને પછી જો !” આ સંવાદ આપણને પ્રશ્નાર્થચીહ્ન અને ઉદ્ગારચીહ્નઅંગે ઘણું કહી જાય છે. એ બન્ને ચીહ્નોની વાત કરતાં આજે આપણે એ બન્નેની ઉપયોગીતા અને વીશેષતાઓ જોઈશું. પ્રશ્નાર્થ ચીહ્ન : ( ? ) એના નામ પ્રમાણે આ ચીહ્ન વાક્યમાં રહેલો પ્રશ્નઆપણને દર્શાવે છે. પુર્ણવીરામની જેમ આ ચીહ્ન પણ વાક્યની પુર્ણતા દર્શાવે છે. છતાં કહેવું જોઈએ કે પુર્ણવીરામચીહ્ન વાતને પુરી કરે છે જ્યારે પ્રશ્નાર્થચીહ્ન સંવાદ ઉભો કરે છે ! પ્રશ્નાર્થચીહ્ન પછી આપોઆપ એક અપેક્ષા ઉભી થઈ જાય છે, તરત બીજા એક વાક્યની. આ ચીહ્નવાળું વાક્ય સાદા પુર્ણવીરામ વાળા વાક્યથી સંતોષ પામે છે. [ આ વાત આપણા જીવનવ્યવહારોમાંય કેવી બંધબેસતી થાય છે ?! ] ઉદ્ગારચીહ્ન : ( ! ) આ ચીહ્નને આશ્ચર્યવીરામચીહ્નપણ કહેવામાં આવે છે. એના નામ પ્રમાણે એ ઉદ્ગારમાં રહેલા આશ્ચર્ય, કટાક્ષ, સુખ-દુ:ખના વીશેષ ભાવો વગેરે પ્રગટાવવામાં મદદ કરે છે. સાહીત્યકારો માટે આ ચીહ્ન બહુ ઉપયોગી અને થોડામાં ઘણું પ્રગટ કરી દેનારું બની રહે છે. ખાસ કરીને ત્રણ પરીસ્થીતીમાં તેનો વીશેષ ઉપયોગ થાય છે : 1] મનના ભાવોની તીવ્રતા દર્શાવવામાં . દા.ત. ” કેવી ઠંડી પડી રહી છે !” 2] કેટલાક અવ્યવો જેવા કે અરે, અરર વગેરે જેમાં આવ્યા હોય તેવા વાક્યને છેડે તે આવે છે . દા.ત. ” અરર, આવી ક્રુરતા !” 3] સંબોધન માટેના નામ પછી તરત (અલ્પવીરામના સ્થાને) તે વપરાય છે. સંબોધન પછી વાક્યમાં જો ભાર દર્શાવવાનો હોય તો વાક્યના છેડે પણ તે આવે છે . દા.ત. “પ્રફુલ ! તને યાદ છે આજે બીલ ભરવાનો છેલ્લો દીવસ છે ! “ 4] ભાવની ઉદ્રેકતા દર્શાવનારા શબ્દો પછી પણ તે આવે છે . દા.ત. ” ખબરદાર ! હવે એક શબ્દ પણ આગળ બોલ્યો છે તો !” અથવા, ” આનંદો ! આજે તો ચુંટણીની રજા છે !” સૌ મીત્રોને ખાસ ભલામણ છે કે પોતાનાં લખાણોમાં આ ચીહ્નોનો વાપર તેઓ કરતાં રહે. ————————————————————— [અન્ય ચીહ્નોની વાત આવતે વખતે.] * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (1) વાંચવામાં સહેલાં પણ લખવામાં અઘરાં વીરામચીહ્નો. રવિવાર, January 20, 2008 at 5:17 pm01 · Filed under વ્યાકરણ ગુજરાતી વ્યાકરણના પાઠો : 8 –જુગલકીશોર. ================================================================== વીરામચીહ્નો : 2 [વીરામચીહ્નની ગયા અંકમાં કરેલી વાત આગળ ચલાવતાં પહેલાં કેટલાંક ઉમેરણ પણ જોઈ લઈએ: ] 1] પુર્ણવીરામ : સાદાં વીધાન વાક્યોને અંતે પુર્ણવીરામ આવે છે તે જોયું; 2] અ.સૌ; ન.પ્ર. બુચ વગેરે શબ્દોને ટુંકાવવા માટે વપરાય તે પણ આપણે જોયું ; 3] સવાલ કે અન્ય વીગતોમાં આવતા ક્રમાંક પછી પણ પુર્ણવીરામ આવે છે તે નોંધશો, દા.ત. દાખલો નં. 1. ; દાખલો નં. 2. વગેરે. જ્યારે બીજી પણ એક વધુ વાત નોંધશો: 4] આજ્ઞાવાચક વાક્ય પછી પણ પુર્ણવીરામ આવે છે; દા.ત. તમારું હોમવર્ક કરો. હાથ ધુઓ.. વગેરે. અલ્પવીરામ બાબત પણ એક વધુ વીગત નોંધી લેશો : અરેરે, ખરેખર, હે ભગવાન વગેરે જેવા શબ્દો વાક્ય શરુ થતાં પહેલાં આવે ત્યારે તરત અલ્પવીરામ આવશે. દા.ત. ખરેખર, એમની વાત સમજવા જેવી છે. અહો, કેવી વીરોધાભાસી વાત કહી ? અરેરે, એમને માથે તો કેવી વીતશે હવે ? વગેરે. હવે આજે અન્ય ચીહ્નો જોઈએ : ———————————————————————– અર્ધવીરામચીહ્ન: ( ; ) પુર્ણવીરામ અને અલ્પવીરામચીહ્નોને ઉપરનીચે મુક્યાં હોય એવું આ અર્ધવીરામ ચીહ્ન વાક્યમાં વાપરવામાં ધ્યાન રાખવાનું હોય છે. એ ગમે ત્યાં વાપરી શકાતું નથી. જુઓ : 1] અટકવા માટેના કાર્યની આ ચીહ્નની સાદી વાત તો એટલી જ છે કે અલ્પવીરામ કરતાંવધુ સમય અને પુર્ણવીરામ કરતાં ઓછો સમય અટકવા માટે અર્ધવીરામ વપરાય છે. 2] પરંતુ બીજી પણ એક વીશેષ કામગીરી આ ચીહ્નની છે તે યાદ રાખશો : જ્યારે લાંબા વાક્યોમાં મુખ્ય વાક્યની સાથેનાં એક કે એકથી વધુ પેટા વાક્યો (ઉપવાક્યો) આવે અને તે વાક્યો પાછાં સાવ સ્વતંત્ર ઉભાં રહી શકે એવાં અર્થપુર્ણ હોય ત્યારે એ વાક્યો પછી ( ; ) આ ચીહ્નનું અર્ધવીરામ મુકવામાં આવે છે. દા.ત. પોલીસ આવી ; ચારેબાજુ ભાગંભાગ થઈ ગઈ. આ વાક્યમાં પાછલું વાક્ય આગળના વાક્યને કારણે જ પુરું સમજાય છે પરંતુ પહેલું વાક્ય સ્વતંત્ર હોઈ અર્થ તો આપે જ છે . જ્યારે પાછળના મુખ્યવાક્યને માટે આગળના વાક્ય પાસે અર્ધવીરામ જરુરી હોઈ ત્યાં આ ચીહ્ન બહુ ઉપયોગી બની રહે છે. ઉપરાંત,બીજો દાખલો લઈએ તો, “અંધારું થઈ ગયું હતું; વાતાવરણ શાંત હતું; ગમે ત્યારે કોઈ આવી ચડે એવી સ્થીતી હતી; છેવટે સામેથી એમની કાર આવી ત્યારે સૌનેનીરાંત થઈ.” ગુરુ વીરામચીહ્ન . ( : ) તેનો પયોગ આ મુજબ થાય છે : 1- વાક્યમાં આગળ આવનારાં અવતરણ ચીહ્નની પહેલાં ગુરુવીરામ મુકવામાં આવે છે. દાત. ” રમણે કહ્યું : “આરામ હરામ હૈ વાળું જવાહરલાલનું આ વાક્ય બહુ જાણીતું છે.” 2- અવતરણચીહ્નો ન બતાવાયાં હોય ત્યારે પણ ક્વોટેડ વાક્યની પહેલાં ગુરુવીરામ આવે છે. દા.ત. ગાંધીજી કહેતાં : ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નીશાની છે. 3- કોઈ બાબત સમજાવવાની હોય ત્યારે એવા સમજુતીસુચક વાક્ય કે શબ્દસમુહની પહેલાં ગુરુવીરામ આવે છે. દા.ત. સો વાતની એક જ વાત મારે કહેવી છે : ગુજરાતી વડે એકતા લાવો. લઘુરેખા . ( – ) : આ કૌંસમાં બતાવેલું ચીહ્ન લઘુરેખાનું છે. 1- સમાસ જેવા શબ્દોના જોડકાંના બન્ને શબ્દોને લખવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. દા.ત. સવાર-સાંજ તેમની મુલાકાત થવા માંડી. એમનું બોલવું-ચાલવું સાવ બદલાઈ ગયું હતું. 2- લખતાં લખતાં પંક્તી પુરી થઈ ગયા પછી કોઈ શબ્દના એક-બે અક્ષરો સમાઈ શકે તેમ ન હોય ત્યારે લીટીને અંતે આવેલા અક્ષર પછી લઘુરેખા કરવામાં આવે છે. જે બતાવે છે કે વાક્ય ચાલુ હોઈ આ શબ્દ આગળની લીટીમાં ચાલુ જ છે. ગુરુરેખા : ( –) : લઘુરેખા કરતાં બેવડી લાંબી આ રેખા વીવીધ ઉપયોગ માટે જાણીતી અને લેખકોની માનીતી કહી શકાય એવી છે. એનો ઉપયોગ કરીને ઘણું કામ એની પાસેથી લઈ શકાય છે. જેમકે – 1- ગુરુવીરામ જેવી જ કામગીરી આ રેખાનીછે. દા.ત. હું તો માનું છું – ” ભાષાના નીમીત્તે જ આપણે સૌ એક બની શકીશું “ 2- ઘણી વાર કહેવાની વાત વાચક સમજી જ જશે એની ખાત્રી સાથે અધુરી છોડીને ત્યાં ગુરુરેખા કરવામાં આવે છે. જેમકે, ” જેમના આવવાની બીક હતી તે જ સામે આવીને ઉભો હતો. એટલે પછી — “ 3- જે વાત આગળના વાક્યમાં કહી હોય તેની જ પુર્તીરુપે કે એના પર્યાય તેરીકે વાત વધુ અસરકારક રીતે કે સ્પષ્ટ કરવા કહેવી હોય ત્યારે ગુરુરેખાથી કામ લેવામાં આવે છે. દા.ત. “કેવો લુચ્ચો છે, આ માણસ — શીયાળ જ જોઈ લ્યો. ” 4- ઘણી વાર કૌંસની કામગીરી પણ ગુરુરેખા પાસેથી લેવામાં આવે છે. ખાસ કરીને જ્યારે લખતાં લખતાં વચ્ચે કશુંક ઉમેરવાનું યાદ આવી ગયું ન હોય, જાણે તે રીતે એનો ઉમેરો આ ગુરુરેખાની મદદથી કરવામાં આવે છે.દા.ત. ” એક ખાસ મહત્વની વાત — તમને વાંધો ન હોય તો — કહું ? “ તથા ” ચાલતાં ચાલતાં તેણે — કોઈ ન સાંભળેએમ – એને ખભે હાથ મુકીને કહ્યું.” ————————————————————————— [ બાકીનાં વીરામચીહ્નો ત્રીજા હપ્તે. ] * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments વીરામચીહ્નો લખાણની શોભા અને સાર્થકતા છે. શુક્રવાર, January 11, 2008 at 5:17 pm01 · Filed under વ્યાકરણ ગુજરાતી વ્યાકરણના પાઠો : 7 ********************************** –જુગલકીશોર. *********************************************************************************** વીરામચીહ્નો – 1 જે રીતે કાના-માતર વીનાનું લખાણ એનો અર્થ સમજવામાં તકલીફ આપે છે તે જ રીતે વીરામચીહ્નો વીનાનું લખાણ પણ ભલે, ઓછા પ્રમાણમાં, પણ વાચનમાં તકલીફ આપે છે. આ ચીહ્નો લખાણને સુસ્પષ્ટ, અને સાર્થક બનાવે છે. ઉદ્ગારવાચક ચીહ્નો જેવાં વીરામચીહ્નો તો લખાણને ખુબ જ અસરકારક બની રહે છે. ઘણી વાર તો વીરામચીહ્નો દ્વારા જ લેખકનું મોટાભાગનું કામ સફળ થઈ જાય છે. લખાણના આંતરીક તત્વ – હેતુ -ને બહાર લાવવામાં આ ચીહ્નો બહુ જ મહત્વની કામગીરી કરી જાય છે. ” ભાઈ, ક્યાં જઈ આવ્યા ?” આવું સાદું વાક્ય પણ જો, “ભા..ઈ ! ક્યાં જઈ આવ્યા ?!!” આ રીતે લખવામાં આવે તો કશું જ સમજાવ્યા વીના ઘણું બધું સમજાવી જાય છે ! ટુંકમાં વીરામચીહ્નો એ વાક્યની શોભા તો છે જ પણ લખાણની સાર્થકતા પણ એના ઉપયોગમાં રહેલી છે. વીરામચીહ્નો કેટલાં અને કયાં કયાં સ્થાને ? ** વીરામચીહ્નો એટલે વાક્યોમાંનાં અટકવાનાં સ્થાનો; ** વીરામચીહ્નો વાક્યમાંના ઘટકોનો એકબીજા સાથેનો સંબંધ દર્શાવે છે. સળંગ વાક્યમાં અનેક પ્રકારના ટુકડાઓ પડતા હોય છે. આ ટુકડાઓનો એકબીજા સાથેનો સંબંધ વીરામચીહ્નોથી જણાય છે. એમના મુખ્ય ચાર પ્રકારો આ રીતે પણ જોઈ શકાય : ** 1] પુર્ણવીરામ, અલ્પવીરામ, અર્ધવીરામ અને ગુરુવીરામ આટલાં વીરામચીહ્નો વાચનમાં અટકવાની જુદી જુદી કામગીરી નીર્દેશે,સમજાવે છે. જ્યારે ** 2] પ્રશ્નાર્થચીહ્ન, ઉદ્ગારચીહ્ન એ બંને વાક્યમાંના પ્રશ્નને કે જુદા જુદા ભાવને પ્રગટાવવા માટે વપરાય છે. તો - ** 3] એક અને બબ્બે અવતરણચીહ્નો વાક્યમાંનાં વીશેષ પદોને અલગ પાડીને (હાઈલાઈટ કરી) બતાવે છે. ઉપરાંત કોઈનાં વાક્યો – અવતરણોને ઉદ્ઘૃત (ક્વોટ) કરી આપે છે. ઉપરાંત - ** 4] લઘુરેખા અને ગુરુરેખા બન્ને સમાસી શબ્દો તથા શબ્દો-વાક્યોના અર્થ, વીસ્તાર કે સમજુતી સ્પષ્ટ કરી આપે છે. હવે આપણે એ બધાંને એક પછી એક જોઈએ. પુર્ણવીરામ : (.) ** ગુજરાતીની વાક્ય રચનામાં છેલ્લે સામાન્યરીતે ક્રીયાપદ આવતું હોય છે. પુર્ણવીરામ એ એના નામ મુજબ વાક્યનો હેતુ પુરો થયાની નીશાની છે. છેલ્લે આવતું ક્રીયાપદ કે અંતીમ પદ જ્યારે તે વાક્યના અર્થને કે હેતુને પુરેપુરો સમજાવી દે ત્યારે પુર્ણવીરામ આવે છે. આ ચીહ્ન કદી પણ વાક્યમાં અધવચ્ચે કે અધુરા અર્થે આવતું નથી. ** લાંબાં નામો કે વીગતોને ટુંકમાં મુકવા માટે પણ આ ચીહ્ન વપરાય છે : અ.સૌ. / ન.પ્ર. બુચ વગેરે. અલ્પવીરામ : (,) આ ચીહ્ન વાક્યમાં ગમે ત્યાં અને ગમેતેટલી વાર આવી શકે છે. વાક્યના કર્તા અને ક્રીયાપદની વચ્ચે એકથી વધુ નામો, વીશેષણો, ક્રીયાપદો કે પછી અનેક રીતની વસ્તુઓ-સ્થીતીઓ આવે અને એને ક્રમશ: દર્શાવવાની થાય ત્યારે દરેકને લાઈનબંધ મુકીને અલ્પવીરામ દ્વારા રજુ કરવામાં આવે છે. ** દા.ત. “આજે મારે શાક, પુસ્તકો, પેંસીલ-પેનો, પોસ્ટકાર્ડ્ઝ અને સીવાઈ ગયેલાં કપડાં પણ લઈને જ ઘેર આવવાનું છે.”(આ બધી વસ્તુઓની યાદી થઈ; બીજા અર્થમાં એ બધાં નામ-પદો છે. એને સાથે મુકવાનાં હોઈ અલ્પવીરામની જરુર ઉભી થઈ હતી. ** એવી જ રીતે એકથી વધુ પરીસ્થીતીઓ પણ આવે ત્યારે પણ અલ્પવીરામ આવે છે. જેમકે, “ગઈ કાલે મારે એક બાજુ મહેમાનો, શાળાનું કામ, છોકરાંના હોમવર્કની તૈયારી, વારંવાર આવતા ટેલીફોન અને ઓચીંતાનો પડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો એમ બધું જ ભેગું થઈ જતાં બાર ક્યારે વાગી ગયા, ખબર જ ન રહી !” ( આ વાક્યમાં એકથી વધુ પરીસ્થીતીઓની યાદી છે.) પરંતુ ખાસ યાદ રાખો કે આવા દરેક શબ્દોમાંના છેલ્લા શબ્દ પછી અલ્પવીરામ આવે નહીં. જેમકે નીચેના વાક્ય, “તેમના કુટુંબમાં બધાં સમજુ, શાણા..” પછી ને,અને,છતાં,પણ જેવા શબ્દો આવવાના હોય એટલે શાણા પછી અલ્પવીરામ ન જ આવે. ** વીશેષણોમાં : “તેમના કુટુંબમાં બધાં સમજુ, વીવેકી, શાણા ને શાંત જણાય છે.” ** ક્રીયાપદોમાં : “એમનો કામવાળો કામ કરે, દારુ પીએ, જુગાર રમે, ગમે ત્યારે ઝઘડી પણ પડે…” ** જ્યારે કોઈને સંબોધન કરવાનું થાય ત્યારે પણ જેમકે,” રામુ, આટલું મારું કામ કરી દે.” ** અવતરણચીહ્નો વાપરવાનાં આવે ત્યારે પણ ચીહ્ન શરુ થાય તે પહેલાં અલ્પવીરામ આવશે. દા.ત. રમેશે કહ્યું, “ચાલો આપણે કાર્ય શરુ કરીએ.” =============================================================== અન્ય ચીહ્નો અંગે આવતા હપ્તે. —–====0000====—- * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (9) સ્વર-વ્યંજન હપ્તો છેલ્લો. શનિવાર, January 5, 2008 at 5:17 pm01 · Filed under વ્યાકરણ ************************************************************** ગુજરાતી વ્યાકરણના પાઠો : 6 –જુગલકીશોર. *************************************************************** ય થી ળ સુધીનાં વ્યંજનો અંગે… ગયા હપ્તા સુધી આપણે મોટાભાગે ક થી મ સુધીના અક્ષરો અંગે ચર્ચા કરી હતી. આજે હવે કક્કાના બાકીના અક્ષરો ય થી ળ અંગે કેટલીક માહીતી લઈશું. ક થી મ સુધીના અક્ષરોમાં આપણે જોયું કે સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વીવીધભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને અનેક ધ્વનીને/અક્ષરોનેઉત્પન્ન કરે છે. પરંતુ મ પછીના ય થી લઈને ળ સુધીના બધા જ અક્ષરોનો ધ્વની હવા ક્યાંય પણ ‘અટક્યા વીના’ ઉચ્ચારાય છે. ય, ર, લ, વ, શ, ષ, સ, હ અને ળ બોલતી વખતે હવા સાવ અટકતી નથી. આ બધા અક્ષરો વ્યંજનો જ હોવા છતાં સ્વરની માફક કોઈને કોઈ જગ્યાએ થી હવાને પસાર થવા દઈને ધ્વની આપે છે. આ બધા અક્ષરોમાંના કેટલાક અક્ષરો વખતે જીભનો આકાર બદલે છે; ક્યાંક જીભની બન્ને બાજુએથી તો ક્યાંક જીભની ઉપરના ભાગેથી હવા સરતી જ રહે છે. એટલે જ ય થી લઈને ળ સુધીના અક્ષરોને અલ્પપ્રાણ-મહાપ્રાણ રુપે કે ઘોષ-અઘોષ રુપે આગળના અક્ષરો સાથે લીધા નથી. વળી આ અક્ષરોની રચનામાં એક બીજો પણ તફાવત છે જે ધ્યાન ઉપર તરત જ ચડે છે. પ્રથમ ભાગના કથી મ સુધીના અક્ષરો એકલા ઉચારી જ શકાતા નથી. એમાં સ્વરને ઉમેરવામાં ન આવે ત્યાં સુધી એ સામા માણસને સંભળાતા જ નથી !! ક થે લઈને મ સુધીનો કોઈપણ અક્ષર સ્વર ઉમેર્યા વીના ઉચ્ચારી જુઓ !! સામેના માણસને નક્કી વહેમ પડશે કે આ ભાઈ ( કે બહેન) બોલવામાંતોટડાય કે અચકાય છે ! જ્યારે ય થી ળ સુધીના અક્ષરોમાં સ્વર આપોઆપ ભળી જાય છે ને અક્ષરનો ઉચ્ચાર અટકતો નથી. આ જ કારણસર આ બીજા વીભાગના વ્યંજનોને તેઓ વ્યંજનો હોવા છતાં સ્પર્શવ્યંજનો , અલ્પ કે મહાપ્રાણ વ્યંજનો, અનુનાસીક-સ્પર્શ વ્યંજનો, સંઘર્શી સ્પર્શવ્યંજનો, પાર્શ્વીક સ્પશ વ્યંજનો પ્રકંપી વ્યંજનો, થડકારવાળા વ્યંજનો કે અર્ધસ્વર-વ્યંજનો તરીકો ઓળખવામાં આવે છે ! આપણે જોયેલાં પાંચ સ્થાનોપર આવતા હવે પછીના અક્ષરોનાં સ્થ્આનો પહેલાં જોઈ લઈએ. આ સ્થાન હવે જાણીતાં થયાં જ છે: કંઠ્ય સ્થાને આવતા અક્ષરો : (વ્યંજનો ) હ (સ્વરો) અ તથા આ તાલવ્ય સ્થાને આવતા અક્ષરો : “ ય અને શ ( ” ) ઈ મુર્ધન્ય(દાંત -તાળવા વચ્ચે) : “ ર અને ષ “ ઋ દન્ત્ય “ લ અને સ “ – ઓષ્ઠ્ય ” – ” ઉ દન્ત્ય+ ઓષ્ઠ્ય ભેળાં સ્થાને : ” વ કંઠ્ય + તાલુ ના ભેળાં સ્થાને : “ – “ એ અને ઐ કંઠ્ય + ઓષ્ઠ્યના ભેળાસ્થાને : “ – ” ઓ અને ઔ ય થી ળ ના અઘોષ અક્ષરો : શ, ષ, સ, ળ ઘોષ અક્ષરો : ય, ર, લ, વ, હ ————————————————————— કેટલીક વધુ વીગતો : 1] સ્વરો ટુંકા અને જલદી ઉચ્ચારઈ જતા હોય ત્યારે તેને લઘુ અક્ષરો કહેવાય છે: અ-ઈ-ઉ 2] બાકીના બધા અક્ષરો લાંબા અને ઉચ્ચારમાં સમય લે છે તેને દીર્ઘ અક્ષરો કહે છે :આ-એ-ઓ 3] ઐ અને ઔ બંને સ્વતંત્ર સ્વરો નથી. તે અનુક્રમે અ + ય્ તથા અ + વ્ મળીને બને છે. 4] ઋ પણ ર્ વ્યંજન + ઉ સ્વર મળવાથી બને છે. 5] સાંકડા અને પહોળા ઉચ્ચારો : એ અને ઍ તથા ઓ અને ઑ (બોલવામાં વાપરીએ છીએ, લખવામાં નહીં) ” આપણો કક્કો ખરો ! ” એ મુહાવરો યાદ રાખીને આપણે એવું સ્થાપીત કરી શકીએ જરુર કે ગુજરાતીભાષાનો કક્કો એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા પછી પણ એમાં ભલે કેટલાક ફેરફાર પામ્યો હોય પણ એની શાસ્ત્રીયતા ધ્યાન ખેંચે છે અને એની વૈજ્ઞાનીક ગોઠવણી તાજ્જુબ કરી દેનારી છે. આપણે અહીં અટકીશું અને સ્વર-વ્યંજનોની વધુ વાતોમાં અટકી રહેવાને બદલે આગળ વ્યાકરણની કેટલીક વાતો પર જઈશું. [ આ લેખમાળાના વાચકો જોતાં લાગે છે કે બહુ મોટી સંખ્યા એનો લાભ લેતી નથી છતાં મહેનતના પ્રમાણમાં ઠીકઠીક ક્લીકો થતી રહેતી હોઈ આ લેખમાળાને બંધ કરવા મન થતું નથી. એટલું જ નહીં પણ કેટલાક સાવ નવા વાચકો એમાં ઉમેરાયા છે. સાવ નજીવી અને ક્ષુલ્લક માન્યતાઓથી પ્રેરાઈને પણ લેખમાળા અંગેનકારાત્મક કોમેન્ટ્સ અગાઉની માફક અહીં પણ જોવા મળી છે છતાં આ વખતે આ શ્રેણી ચાલુ રાખવા મન કહે છે. પણ અન્ય વાચકોનો ખ્યાલ કરીને મારા બ્લોગ પરથી કોમેન્ટ્સ વીભાગ બંધ કર્યો છે. જે કોઈને પણ પ્રશ્ન હોય તે ઈમેઈલથી પુછી શકશે. વાક્યરચનાઓને બ્લોગ ઉપરથી સુધારવાનું પણ બંધ કરવું પડ્યું છે કારણ કે ઘણાંને — આ ભુલો જાહેરમાં બતાવાતી ન હોવા છતાં – ગમ્યું નથી. બ્લોગ અંગેનાં રસદર્શનો કે વીવેચનો પણ પડતાં મુકવામાં આવ્યાં છે ! હવે કોઈને ન ગમે એવું એક પણ કામ હાથ પર લેવાની હીંમત નથી !!! ક્ષમા યાચના સાથે, સૌને આટલી સ્પષ્ટતા કરું છું. —–=====०००००=====—– * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments off અનુનાસીકો હવે ફક્ત મીંડા તરીકે જ રહ્યા છે !! શનિવાર, December 29, 2007 at 5:17 pm12 · Filed under વ્યાકરણ ************************************************************* ગુજરાતી વ્યાકરણના પાઠો : 5 –જુગલકીશોર. ************************************************************* અનુનાસીકો વ્યંજનો છે, અનુસ્વાર નથી. ગુજરાતીમાં હ્રસ્વ ઈ-ઉ અને દીર્ઘ ઈ-ઉની ભુલો પછી બીજાનંબરે સૌથી વધુ ભુલો કદાચ આ બંને નાક સાથે સંકળાયેલાંઓને કારણે થતી હોય છે ! આપણું નાક કાપી લેનારાં આ બન્નેનો ઉપયોગ સાચી રીતે કરવાનું થોડું અઘરું છે. અનુસ્વારો જોડણીની દૃષ્ટીએ ભુલો કરાવે છે તે વાત સાચી છે પરંતુ આજે આપણે અહીં એને જોડણીના અનુસંધાને જોવાનાં નથી. આજે તો એને ફક્ત સમજવાનાં જ છે, કે એનું સ્થાન શું છે અને ક્યાં છે. આપણે પ્રથમ જે રંગીન કોઠો જોયો તેમાં પાંચેય લાઈનોને છેવાડે આવેલા પાંચેય અનુનાસીકોને ઓળખ્યા હતા. તે અનુક્રમે ङ, ञ, ણ, ન અને મ આટલાં છે. હવે જરા ધ્યાનથી સમજવાની અને યાદ રાખવાની વાત આવે છે. તેને બરાબર સમજી લેશો. આ પાંચેય અનુનાસીકો બોલાય ત્યારે નાકમાંથી પણ ઉચ્છ્વાસની હવા નીકળતી હોય છે. (એટલે જ તો એ અનુનાસીકો છે ને !) તમારામાંથી કોઈએ પ્રયોગ કર્યો હશે તો ખ્યાલ હશે કે નાક દબાવીને તેનો ઉચ્ચાર બરાબર થઈ શકતો નથી. પ્રથમ લાઈનના કોઈપણ અક્ષર સાથે જેમકે અંક/ પંખો/ ભંગ/ લંઘન માં પ્રથમલાઈનના અનુનાસીક આવે છે; એ જ રીતે, મંચ/ મંછા/કુંજ અને ઝંઝામાં બીજી લાઈનના અનુનાસીકો આવે છે; કંટક/ કંઠી/ ઠંડક/ સાંઢમાં ત્રીજી લાઈનના અનુ.આવે છે; દંત/ કંથ/ મંદ/ અને અંધમાં ચોથી લાઈનના અનુનાસીકો આવે છે જ્યારે કંપ/ હંફાવવું/ અંબા અને રંભામાં પાંચમી લાઈનના અનુનાસીકો આવે છે. હવે તમે જોઈ શકશો કે આમાં બધી જ લાઈનોના બધા જ પ્રકારના અનુનાસીકો દરેકના સ્થાન પર આવી ગયા છે. અને એમાંનો કોઈ શબ્દ નાક બંધ કરીને સ્પષ્ટ બોલી શકાતો નથી. કારણ કે એની શરત જ એ છે કે નાકમાંથી પણ સ્પંદીત હવા નીકળવી જ જોઈએ. હવે એક બીજી મહત્ત્વની વાત. આ બધા જ અનુનાસીકો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા હતા અને ગુજરાતીમાં જ્યારે એનો ઉપયોગે થયો ત્યારે પ્રથમ ત્રણે લાઈનોના અનુસ્વાર ङ, ञ અને ણ્ ને લેવાનું આપણે ધીમે ધીમે છોડી દીધું હતું અને કેવળ ન્ અને મ્ ને જ જાળવ્યા હતા. પરંતુ ધીમે ધીમે સ્કુલનાં બાળકો બોલાતા ઉચ્ચારના ભેદ સમજી ન શકે અને ભુલો ન કરે તેથી હોય કે ગમે તે કારણે પણ પાંચેય લાઈનોના અનુનાસીકોને અક્ષરની માથે મીંડું કરીને જ લખાતા થયા. આને કારણે કક્કામાં એ પાંચેય દેખાડાતા હોવા છતાં એનો વપરાશ શીખવાડાતો બંધ થયો. ( આ બાબતની ઐતીહાસીકતામાં આપણે નહીં જઈએ. પરંતુ સરકારી અભ્યાસક્રમ મુજબ આ અનુનાસીકોને લખાતા નથી એટલું જ આપણે શીખવા પુરતું.) વળી અમે જ્યારે એમ.એ.માં ભણતા ત્યારે ભાષાવીજ્ઞાનના આપણા વીદ્વાન અધ્યાપક એવા શ્રી શાંતીભાઈ આચાર્ય અમને ङ અને ञ બોલાવતા ત્યારે અમારામાંથી ભાગ્યે જ કોઈ સાચો ઉચ્ચાર આ બન્નેનો કરી શકતા !! અમે થાકી જઈએ પણ ङ તો બોલી શકાતો જ નહીં. આ તો થઈ એક આડવાત પણ આ પાંચેયમાંથી પ્રથમ ત્રણને તો આપણે છોડ્યા પણ બાકીના બન્ને ન્ અને મ્ ને ય દેશવટો દઈ દીધો છે. હવે તો ફક્ત માથે મીંડા તરીકે જ એમનું અસ્તીત્વ રહ્યું છે. આ થઈ અનુનાસીકોની વાત. હવે પછી કરીશું અનુસ્વારોની વાત….પરંતુ તે તો હવે આવતે હપ્તે જ…!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free